દેશના 14માં ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે શનિવારે મતદાન થશે. આ પદ માટે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખર અને વિરોધ પક્ષના ઉમેદવાર માર્ગરેટ આલ્વા વચ્ચેનો ચૂંટણી જંગ માત્ર ઔપચારિકતા બની રહેશે. મતદાનથી દૂર રહેવાની તૃણમૂલ કોંગ્રેસની જાહેરાત, શિવસેનામાં વિભાજન અને ચાર વિરોધ પક્ષોની એનડીએના ઉમેદવાર ધનખરને સર્મથન આપવાની જાહેરાતે હરીફાઈને એકતરફી બનાવી દીધી છે.
સંસદ ભવનમાં સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. આ પછી તરત જ મતગણતરી શરૂ કરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. વાસ્તવમાં આ ચૂંટણીમાં ભાજપ ધનખરને પોતાના દમ પર ચૂંટણી જીતાડવાની સ્થિતિમાં હતું. પાર્ટીની પાસે લોકસભામાં 303 અને રાજ્યસભામાં 91 સભ્યો છે. આ સંખ્યા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે પૂરતી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને બીજેપી, વાયએસઆર કોંગ્રેસ, બીએસપી અને ટીડીપીએ સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ પક્ષોના બંને ગૃહોમાં 67 સભ્યો છે. આ સિવાય લોકસભામાં શિવસેનાના ઓછામાં ઓછા 13 સભ્યો ભાજપની સાથે છે. આ હિસાબથી આ ચૂંટણીમાં NDA ઉમેદવારને 65 ટકાથી પણ વધુ વોટ મળશે.
વિપક્ષને ટીએમસીએ આપ્યો ઝટકો
આ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ આલ્વાના જીતવાની શક્યતાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ વિપક્ષને આ ચૂંટણીમાં એકતા દર્શાવવાની તક મળી હતી. જો કે, ટીએમસીએ મતદાનથી દૂર રહેવાની જાહેરાત કર્યા પછી એકતા બતાવવાની સાચી આશાઓ તૂટી ગઈ. ટીએમસીએ કોંગ્રેસ પર તેની અવગણના કરવાનો આરોપ લગાવતા આ અંગે નિર્ણય જાહેર કર્યો.
ભાજપના સાંસદોની બેઠક
આ વખતે પણ ભાજપ પોતાના સાંસદોને વોટ આપવાની તાલીમ આપશે. આ માટે શુક્રવારે સાંજે પાર્ટીના સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. સંસદ પરિસરમાં બાલયોગી ઓડિટોરિયમમાં યોજાનારી આ બેઠકની અધ્યક્ષતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. બેઠકમાં સાંસદોને મતદાન કેવી રીતે કરવું તે સમજાવવામાં આવશે.