તા-06-04-2021 રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. ધોરાજી સબ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા સાથે ૭૦ બેડની હોસ્પિટલમાં તબીબો ૨૪ કલાક સેવા આપી રહ્યા છે. ધોરાજીમાં ૪૨ કોવીડ દર્દીઓ દાખલ છે. જેમાં ૨૧ ઓક્સિજન પર છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ૩૦ બેડ ખાલી છે.
ધોરાજીની સબ હોસ્પિટલમાં કોરોનાની સારામાં સારી સારવાર મળી રહે અને દવા-ઈન્જેક્શનના પુરતા જથ્થા સાથે નર્સીંગ સ્ટાફ-તબીબોની સેવા ઉપલબ્ધ થતાં લોકોને રાહત થઈ છે. સરકારી હોસ્પિટલમાં સારવારથી સ્વચ્છતા અને નાસ્તા-ભોજનની સુવિધાને પણ લોકોએ આવકારી છે.
ધોરાજીના મેડીકલ અધિક્ષક ડો. જયેશ વસેટીયનએ જણાવ્યું હતું કે કલેક્ટર અને ડી.ડી.ઓના માર્ગદશન હેઠળ હોસ્પિટલમાં ઓકિસજનની પુરતી વ્યવસ્થા છે. લોકોએ ગભરાવાની જરૂર નથી.
ધોરાજીમાં કોરોનાના સંક્રમણથી લોકોને રક્ષણ આપવા રસીકરણની કામગીરી પણ ઝડપી કરવામાં આવી છે. ધોરાજી સબ હોસ્પિટલમાં ગ્રીન ઝોનમાં રસીકરણ સેન્ટર કાર્યરત છે. રસી લઈને પ્રતિભાવ આપતા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ વેપારી વિનોદરાય અંટાળાએ જણાવ્યું હતું કે રસીથી કોઈ આડઅસર થતી નથી. તેમના પત્ની ભાનુબેને પણ રસી લઈ બહેનો સહિત સૌ કોઈએ રસી લેવા અનુરોધ કર્યો હતો.
એડવોકેટ હરેશભાઇએ પણ કહ્યું કે મુખ્ય અગ્રણી બધાએ રસી લીધી છે. અને કોઈ નુકસાન નથી. કોરોના સામે પ્રતિકારશક્તિ વધે છે. અને આપણને કોરોનાની ગંભીર અસર સામે બચાવે છે. તેથી સૌ એ રસી લેવી જોઈએ. હોસ્પિટલના અધીક્ષકે લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડીસ્ટન્સ રાખવા અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા જણાવ્યું છે.