નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ચિકદા ગામે ગઈકાલે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા આઠમાં તબક્કાના “સેવા સેતુ કાર્યક્રમ”ને પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને સરકારી યોજનાનો લાભ ઘર આંગણે જ ઉપલબ્ધ થાય તેવા શુભ આશયથી સંખ્યાબંધ શૃંખલામાં “સેવાસેતુ કાર્યક્રમો”નું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે દેડિયાપાડા તાલુકાના ચિકદા ગામે યોજાયેલા આઠમાં તબક્કાના “સેવાસેતુ કાર્યક્રમ”માં આ વિસ્તારના 8થી 10 ગામના લાભાર્થીઓ અને ગ્રામજનોએ લાભ લીધો હતો. ઉક્ત “સેવાસેતુ કાર્યક્રમ” માં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહી લાભાર્થીઓને યોજનાકીય લાભોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે દેડિયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ તડવી, દેડીયાપાડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દક્ષાબેન વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય ખાનસિંગભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય અમરસિંહભાઈ, ચિકદા ગ્રામ પંચાયતના સરપંચ,ટીડીઓ, મામલતદાર, સીડીપીઓ, મેડિકલ ઓફિસર, તલાટી તેમજ વિવિધ વિભાગના અધિકારઓ/ કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.