સોખડા સ્વામીનારાયણ મંદિરનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. આણંદના બાકરોલમાં આવેલા આત્મીય વિદ્યાધામ ખાતે પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તો સામસામે આવી જતા મંદિરનું શાંત વાતાવરણ ડહોળાયું હતું અને પોલીસને વચ્ચે પડવું પડ્યું હતું. ભક્તોના બે જૂથ સામસામે આવી જતા બાકરોલ આત્મીય વિદ્યાધામ પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીને લઈને પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો. એ પછી હાઇકોર્ટે આપેલા આદેશ અનુસાર પ્રબોધ સ્વામી તેમના જૂથના સંતો અને હરિ ભક્તો સાથે આણંદના બાકરોલ આત્મીય વિદ્યાધામ ખાતે રહેવા આવ્યા હતા. પ્રબોધ સ્વામી અને તેમના જૂથના 64 સંતો અને હરિ ભક્તો 21 એપ્રિલથી આત્મીય વિદ્યાધામ ખાતે નિવાસ કરી રહયા છે.
શ્રાવણ મહિનાને લઈને કાર્યક્રમના આયોજનનાં પોસ્ટરો લગાવવા પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થકો આત્મીય વિદ્યાધામ ગયા હતા, જ્યાં તેમને પ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તોએ અટકાવ્યા હતા. આને કારણે મંદિરની શાંતિ ભંગ થઈ હતી. પ્રબોધ સ્વામીના સમર્થકો આત્મીય વિદ્યાધામની અંદર તરફ અને પ્રેમસ્વરૂપ સ્વામીના ભક્તો બહારની તરફ મોટી સંખ્યામાં ભેગા થતા ઘર્ષણ થાય તેવો માહોલ સર્જાયો હતો. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને સાથે જ અહીં પોલીસ તૈનાત પણ કરી દેવામાં આવી હતી.
મોડી સાંજે 100 થી વધુ હરિ ભક્તો અને યોગી ડિવાઇન સમિતિના સેક્રેટરી ડૉ. આશવ પટેલ આત્મીય વિદ્યાધામ ખાતે પહોંચ્યા હતા, ત્યારે આત્મીય વિદ્યાધામનાં મુખ્ય પ્રવેશ દ્વારને તાળા મારીને બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે હરિ ભક્તોને પ્રવેશતા અટકાવ્યા હતા. આ સમયે પ્રેમ સ્વરૂપ જૂથના ભક્તોએ કહ્યું હતું કે, અમે ફક્ત દર્શન કરવા જવા માંગીએ છીએ, પોલીસ અમને રોકી શકે નહીં. ભગવાનનાં દર્શન કરતા રોકી ન શકાય.
જેના જવાબમાં પોલીસે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આત્મીય વિદ્યા ધામ ખાતે પ્રવેશ આપવામાં નહીં આવે. જેને કારણે પોલીસ અને ભક્તો વચ્ચે પણ મામલો ગરમાયો હતો. આ પછી ડીવાયએસપી ભરતસિંહ જાડેજાએ ઘટના સ્થળે આવીને મામલો થાળે પાડ્યો હતો. જો કે આ વિવાદ વધુ વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.