અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ મોટેરાનું થોડા સમય પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ નવીનકરણ થતાં જ તેમના નામની જગ્યા પર હાલના વડાપ્રધાનના નામથી આ સ્ટેડિયમનું નામકરણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આ સ્ટેડિયમને ફરી સરદાર સાહેબનું આપવા સહિતની માંગ સાથે બે દિવસીય “સરદાર સન્માન સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે.
પાસના અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો દ્વારા “સરદાર સંકલ્પ આંદોલન સમિતિ”ના નેજા હેઠળ “સરદાર સન્માન સંકલ્પ યાત્રા” ની જાહેરાત કરવામાં આવી છે. આ યાત્રા બોરડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યોજાશે. આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘થોડા સમય પહેલા જ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ મોટેરાનું નવીનીકરણ થયું. આ નવીનકરણ થતાં જ તેમના નામની જગ્યા પર હાલના વડાપ્રધાનના નામથી આ સ્ટેડિયમનું નામકરણ કરી દેવામાં આવ્યું હતું. દેશના લોખંડી પુરુષ શિલ્પી વિશ્વવિખ્યાત ભારતરત્ન સરદાર સાહેબ માટે અપમાન જનક બાબત છે. સરકારને કે તંત્રને વડાપ્રધાન પ્રત્યે એટલો જ આદર અને પ્રેમ હોય તો ગુજરાતના અન્ય જિલ્લામાં આનાથી પણ વિશાળ સ્ટેડિયમનું નિર્માણ કરી તેનું નામ વડાપ્રધાનના નામથી નામકરણ કરે તેનો કોઈને વિરોધ ન હોય શકે. પરંતુ જે રાષ્ટ્રપુરુષનું આ દેશની એકતા અને અખંડિતતા માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે. તેના નામથી ચાલી આવતા સ્ટેડિયમનું નવીનીકરણ કરતાં અચાનક નામકરણ કરી હયાત વડાપ્રધાનનું નામ તેની સાથે જોડી સરદાર સાહેબનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. ત્યારે ફરીથી આ સ્ટેડિયમનું નામકરણ માત્રને માત્ર સરદાર સાહેબના નામ સાથે જ જોડાયેલ રહે તેવી લોકમાંગને લઈને આ વાત સરકાર સમક્ષ પહોચાડવાના હેતુસર આ યાત્રાનું આયોજન કરાયું છે.’
પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સરદાર સન્માન સંકલ્પ યાત્રા તારીખ 12 જૂન 2022ને રવિવારના રોજ બોરડોલીથી નીકળીને તારીખ 13 જૂનનેે સોમવારના રોજ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે પૂર્ણ થશે.