જો તમે પણ સાસણ-ગીર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ગીરમાં 16 જૂનથી અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
15 ઓકટોબરે પૂર્ણ થશે વેકેશન
વન વિભાગના જણાવ્યા અનુસાર, સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે 16 જૂનથી સાસણ જંગલમાં ચાર માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થશે.
16 જૂનથી સાસણ-ગીરમાં સિંહદર્શન બંધ
દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફરી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જોકે પ્રવાસીઓ માટે દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે.