દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022ના શંખનાદનો સમય આવી ગયો છે. ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે તેની તારીખ અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જેમાં તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. 24 જુલાઈ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી-2017માં 17મી જુલાઈએ મતદાન થયું હતું અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી. ત્યારે 50 ટકા મતો સત્તાધારી NDAની તરફેણમાં હતા, તેમજ પ્રાદેશિક પક્ષોમાં પણ મોટા ભાગના પક્ષોનું સમર્થન મળ્યું હતું. આ વખતે પણ કેટલાક પ્રાદેશિક પક્ષોની મદદથી એનડીએ પોતાની પસંદગીના રાષ્ટ્રપતિને ચૂંટવાની નજીક છે. જો કે, આગામી થોડા દિવસોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી બાદ તેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. તેમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. આમાં લોકસભા અને રાજ્યસભાના નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.
હાલમાં 245 સભ્યોની રાજ્યસભામાં 230 સાંસદો છે. 57 સભ્યોની સદસ્યતા જૂન અને જુલાઈમાં સમાપ્ત થઈ રહી છે, જોકે આમાંથી 41 બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવી છે, જ્યારે બાકીની બેઠકો પર 10 જૂનના રોજ ચૂંટણી યોજાશે.
રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત 12 રાજ્યસભા સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરતા નથી. તો 543 સભ્યોની લોકસભામાં અત્યારે 540 સાંસદો છે. ત્રણ બેઠકો ખાલી છે. તેના પર પણ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ખાલી પડેલી તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપશે.