ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી ગંભીર બની રહી છે. લગભગ એક મહિનાથી ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા ત્યારે છેલ્લા 4 દિવસથી આ આંકડામાં થોડી સ્થિરતા જોવા મળી હતી. ગઈ કાલે નવા કેસના આંકડામાં ઘટાડો નોંધાયો હતો તો આજે ફરી આ આંકડામાં ઉછાળો જોવા મળ્યો. તેની સામે મૃત્યુના આંકડા પણ દરરોજ વધી જ રહ્યા છે.
રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના કેસ 14000ને પાર ગયા છે. છેલ્લા 24 કલાકમાં 14,327 નવા કેસ નોંધાયા છે, જોકે 28 એપ્રિલે નોંધાયેલા 14120 કેસમાં એક દિવસ પૂરતો જ ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે ફરી કેસ વધ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,53,172ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંકની વાત કરીએ તો 180 દર્દીના મૃત્યુ થયાં છે. આ સાથે કુલ મૃત્યુઆંક 7 હજારને પાર જઈ કુલ 7010 થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9,544 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રિક્વરી રેટ ઘટીને 73.82% થયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 4,08,368 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,37,794 એક્ટિવ કેસ છે, જેમાંથી 572 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,37,222 દર્દીઓની હાલત સ્થિર છે.
રાજ્યમાં આજે કુલ 1,64,979 લોકોને વેક્સીન આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 96,33,415 લોકોને પ્રથમ ડોઝ અને 22,89,426 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1,19,22,841નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 62,026 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 88,549ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.