કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે. નેશનલ હેરાલ્ડ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી હવે 23 જૂને હાજર થવાના છે. સોનિયા ગાંધી હાલમાં કોરોનાથી સંક્રમિત છે અને હોસ્પિટલમાં દાખલ છે.
સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ નેશનલ હેરાલ્ડ કેસ શું છે? સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આમાં કેવી રીતે ફસાયા?
પહેલા જાણી લો શું છે નેશનલ હેરાલ્ડ?
દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુએ 20 નવેમ્બર 1937ના રોજ એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL)ની રચના કરી હતી. તેનો હેતુ અલગ-અલગ ભાષાઓમાં અખબારો પ્રકાશિત કરવાનો હતો. ત્યારબાદ AJL હેઠળ અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ, હિન્દીમાં નવજીવન અને ઉર્દૂમાં કૌમી આવાઝ અખબારો પ્રકાશિત થયા.
ભલે AJLની રચનામાં પં. જવાહર લાલ નેહરુની ભૂમિકા હતી, પરંતુ તેના પર માલિકીનો હક ક્યારેય તેમનો ન રહ્યો. કારણ કે આ કંપનીને 5000 સ્વાતંત્ર્ય સેનાની સપોર્ટ કરી રહ્યા હતા અને તેઓ તેના શેર હોલ્ડર પણ હતા. 90ના દાયકામાં આ અખબાર ખોટમાં આવવા લાગ્યું. વર્ષ 2008 સુધીમાં AJL પર 90 કરોડ રુપિયાથી વધુનું દેવું હતું. ત્યારે AJLએ નિર્ણય લીધો કે હવે અખબારો પ્રકાશિત કરવામાં આવશે નહીં. અખબારોનું પ્રકાશન બંધ કર્યા બાદ એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL)પ્રોપર્ટીના બિઝનેસમાં ઉતરી.
તો વિવાદ ક્યાંથી શરુ થયો?
2010માં AJLની પાસે 1057 શેરધારકો હતા. નુકસાન થતાં તેનું હોલ્ડિંગ યંગ ઈન્ડિયા લિમિટેડ એટલે કે YILને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. યંગ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના એ જ વર્ષે એટલે કે 2010માં થઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીના તત્કાલિન મહાસચિવ રાહુલ ગાંધી ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કંપનીમાં 76 ટકા હિસ્સો હતો. બાકીનો 24 ટકા કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ (બંનેના નિધન થઈ ચૂક્યા છે)ની પાસે હતો.
શેર ટ્રાન્સફર થતાં જ AJLના શેર હોલ્ડર્સ સામે આવ્યા. પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણ, અલ્હાબાદ અને મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ માર્કંડેય કાત્જુ સહિતના કેટલાક શેરધારકોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે YILએ AJLનું ‘અધિગ્રહણ’ કર્યું ત્યારે તેમને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, શેર ટ્રાન્સફર કરતા પહેલા શેરધારકોની સંમતિ પણ લેવામાં આવી ન હતી. તમને જણાવી દઈએ કે, શાંતિ ભૂષણ અને માર્કંડેય કાત્જુના પિતાના નામે AJLમાં શેર હતા.
પછી કેસ નોંધાયો
2012માં ભાજપના નેતા અને દેશના જાણીતા વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, પત્રકાર સુમન દુબે અને ટેકનોક્રેટ સામ પિત્રોડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી.
સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે, YILએ 2,000 કરોડથી વધુની સંપત્તિ અને લાભ મેળવવા માટે ”ખોટી રીતે” નિષ્ક્રિય પ્રિન્ટ મીડિયા આઉટલેટ્સની સંપત્તિને ”હસ્તગત” કરી હતી.
સ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, YILએ 90.25 કરોડ રુપિયાની વસુલીનો અધિકાર મેળવવા માટે માત્ર 50 લાખ રુપિયાની ચૂકવણી કરી હતી, જે AJL પર કોંગ્રેસ પાર્ટીનું લેણું હતું. આ રકમ અગાઉ અખબાર શરૂ કરવા માટે લોન તરીકે આપવામાં આવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, AJLને આપવામાં આવેલી લોન “ગેરકાયદેસર” હતી, કારણ કે તે પાર્ટી ફંડમાંથી આપવામાં આવી હતી.
EDની તપાસ, કોર્ટેમાંથી સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને જામીન
2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ મામલાની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કાર્યવાહીની તલવાર લટકી રહી હતી. જેથી બંને કોર્ટમાં પહોંચ્યા હતા. આ કેસમાં 19 ડિસેમ્બર 2015ના રોજ ટ્રાયલ કોર્ટે બંનેને જામીન આપ્યા હતા. 2016માં સુપ્રીમ કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિસ અને સુમન દુબેને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી, તેમની સામેની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. હવે આ કેસમાં EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.