કુદરતી અફતોમાંથી લોકોને ઉગારવા સાથેની પ્રાર્થના માટે નવસારીના એન્જલ ગામના નરેશભાઈ આહિર 500 કિમીનો સાયકલ પ્રવાસ કરી યાત્રાધામ વીરપુર પહોંચ્યા.
સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં હજારો જલારામ ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શને આવે છે, કોઈ ભક્તો પગપાળા આવે છે તો કોઈ સાઇકલ લઈને આવતા હોય છે, પરંતુ છેલ્લા દસ વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા લોકસાહિત્યકાર નરેશભાઈ આહિર આજે વીરપુર આવી પહોંચ્યા હતા. ત્યાંથી વીરપુર પૂજ્ય બાપાના દર્શન કરીને નરેશભાઈ આહીર સોમનાથ તરફ જવા નીકળ્યા હતા.
છેલ્લા દસ વર્ષથી સાયકલ લઈને વીરપુર તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા નરેશભાઈ આહીરે જણાવ્યું હતું કે, દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કોઇને કોઈ ધ્યેય સાથે આવે છે. ક્યારેક વિશ્વ શાંતિ માટે તો ક્યારેક ધર્મના સંદેશ માટે પરંતુ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો અને પશુઓમાં લમ્પી વાયરસે પણ તાંડવ મચાવ્યું છે.
જેમને લઈને 1700 કિમી જેટલો સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને પૂજ્ય જલારામ બાપા અને સોમનાથ દાદા આ કુદરતી અફતોમાંથી લોકોને ઉગારે એ હેતુસર આજે વીરપુર પૂજ્ય બાપાના મંદિરે શીશ જુકાવી પ્રાર્થના કરી અને સોમનાથ તરફ આગળ પ્રયાણ કર્યું હતું.
નવાઈની વાત તો એ છે કે, નરેશભાઈ આહીર પોતે એકલા જ 1700 કિમી જેટલો સાયકલ પ્રવાસ કરીને પાછા પોતાના ઘરે પણ સાયકલ લઈને જ જાય છે કોઈપણ વાહનોનો સહારો લેતા નથી ત્યારે છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરતા નરેશભાઈ આહીરના સાહસને લોકો વંદન કરી રહ્યા છે.
રિપોર્ટઃ કિશન મોરબીયા, વીરપુર