તા 05-04-2021 -નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેક્સિન આપવામાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ તથા તેમના પરિવારજનોએ આજરોજ શહેરની જી.જી.હોસ્પિટલ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ સાંસદ પૂનમબેન માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકાના ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને કોઇપણ જાતનો મનમાં ડર રાખ્યા વગર સ્વદેશી બનાવટની વેક્સિન લેવા અપીલ કરતાં જણાવેલ કે, સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રસીકરણ જો ચાલતું હોય તો તે ભારત દેશમાં ચાલે છે. કોરોના સમયમાં મે પણ જાગૃત રહી આજે કોરોના સામે લડવા માટેનો પ્રથમ ડોઝ લીધેલ છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં બનેલ વેક્સિનનો ઉપયોગ થતો હોય ત્યારે આપ સૌ ભારતિય નાગરિકે આ રસીકરણ અભિયાનમાં જોડાવા આહવાન કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકાનો એક પણ નાગરિક આ રસીકરણ અભિયાનથી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરેલ હતી.
રસીકરણ કરાવી કોરોના સામેની લડાઇમાં જોડાવા આહવાન કરતાં સાંસદ પૂનમબેન માડમે વધુમાં ઉમેર્યું કે, ઇન્જેશન લીધા બાદ આડઅસર થાય છે તેવી અફવાઓ હતી પરંતુ મે વેક્સિન લીધેલ છે વેક્સિન લેવાથી કોઇપણ જાતની આડઅસર થતી નથી. વિશ્વના સમૃધ્ધ દેશો પણ જે નથી કરી શક્યા તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે સાર્થક કરી બતાવ્યું છે. કોરોના સામેની લડતમાં સામાન્ય માનવીએ જે પહેલ કરેલ છે તે બદલ રસીકરણ પછીની પાયાની સુવિધાઓ તાત્કાલિક મળી રહે તે માટે સાંસદ તરફથી કીટ આપવામાં આવે છે.
આ તકે સાંસદ પૂનમબેન માડમની સાથે મેયર બિનાબેન કોઠારી, ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદીની દેશાઇ, કોવિડ હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. ચેટરજી ઉપસ્થિત રહ્યાં હતા.