Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી તેમને સમર્થન આપ્યું છે. નિહાર ઠાકરે શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેના મોટા પુત્ર સ્વર્ગસ્થ બિંદુમાધવ ઠાકરેના પુત્ર છે.
જણાવી દઈએ કે, નિહાર ઠાકરેના પિતા બિંદુમાધવ ઠાકરેનું 1996માં એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નિહાર ઠાકરે વકીલ છે. નિહાર ઠાકરે અત્યાર સુધી રાજકારણથી દૂર રહ્યા છે. પરંતુ તેમની LinkedIn પ્રોફાઇલ મુજબ, નિહાર ઠાકરે એક વ્યૂહાત્મક કાનૂની સલાહકાર છે, તેઓ વિવિધ કેસ લડે છે અને કાનૂની અભિપ્રાય આપે છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માંથી ઈન્ટરનેશનલ કોમર્શિયલ લિટિગેશનનો કોર્સ કર્યો છે. તેમણે મુંબઈની સરકારી લો કોલેજ (GLC)માંથી LLBની ડિગ્રી મેળવી છે.
ભાજપ સાથે પણ છે કનેક્શન
આ સિવાય નિહાર ઠાકરેનું ભાજપ સાથે પણ કનેક્શન છે. હકીકતમાં નિહાર ઠાકરેના પત્ની અંકિતા બીજેપી નેતા હર્ષવર્ધન પાટીલના પુત્રી છે. આ સિવાય નિહાર ઠાકરેને એક બહેન નેહા ઠાકરે છે. એવું માનવામાં આવે છે કે, નિહાર ઠાકરેએ શિંદે જૂથમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી શિંદેના કાર્યાલયથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠક બાદ નિહાર ઠાકરે મુખ્યમંત્રીના નેતૃત્વમાં પોતાની રાજકીય યાત્રા શરૂ કરશે.
શિંદે જૂથે કર્યો હતો બળવો
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદેએ ગત મહિને પાર્ટીના લગભગ 40 ધારાસભ્યો સાથે શિવસેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. તેમણે 30 જૂને ભાજપના સમર્થનથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.