મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે નવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યા છે. હવે એવા અહેવાલ છે કે, શિવસેનાનું બળવાખોર એકનાથ શિંદે જૂથ રાજકારણ માટે નવા વિકલ્પો શોધી રહ્યું છે. શિવસેનાના નામે રાજનીતિ કરનાર શિંદે જૂથ ઠાકરે નામ અને હિન્દુત્વ બંનેને છોડવા માંગતું નથી. આવી સ્થિતિમાં એકનાથ શિંદે જૂથના 38 ધારાસભ્યો રાજ ઠાકરેની પાર્ટી MNSમાં જોડાઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મુદ્દે એકનાથ શિંદેએ રાજ ઠાકરે સાથે બે વખત ફોન પર વાતચીત પણ કરી છે. ભલે એવું કહેવામાં આવી રહ્યું હોય કે એકનાથ શિંદેએ રાજ ઠાકરેની તબિયત જાણવા માટે તેમને ફોન કર્યો હતો, પરંતુ તેનું અસલી કારણ એ કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે જૂથ MNS સાથે જોડાઈને રાજ્યમાં રાજકારણના નવા સમીકરણો બનાવવા માંગે છે.
ગુપચુપ થયેલી મુલાકાતમાં જ નક્કી થઈ ગયું હતું બધું?
રિપોર્ટ્સનું માનીએ તો શિંદે જૂથનું MNSમાં વિલીનીકરણ બે દિવસ પહેલા દેવેન્દ્ર ફડણનીસ સાથે એકનાથ શિંદેની ગુપચુપ મુલાકાતમાં જ નક્કી થઈ ગયું હતું. સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા. અહીંથી જ નવી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
વિલીનીકરણ શા માટે જરૂરી છે?
રિપોર્ટસનું અનુસાર, ભલે એકનાથ શિંદેની પાસે શિવસેનાના 38 બળવાખોર ધારાસભ્યોનું સમર્થન હોય, પરંતુ નવી પાર્ટી તરીકે તેમને માન્યતા મળવી સરળ નથી. આવી સ્થિતિમાં શિંદે જૂથ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ મુદ્દાને ઉકેલવા માંગે છે. તેથી તેમના માટે સૌથી સરળ એ જ છે કે તેઓ રાજ ઠાકરેની પાર્ટી MNS સામેલ થઈ જાય. આવી સ્થિતિમાં તેમની પાસે ઠાકરેનું નામ પણ બચ્યું રહેશે અને હિન્દુત્વનો એજન્ડા પણ.