Lata Mangeshkar Health Update: સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર છેલ્લા 11 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર કોવિડ 19 પોઝિટિવ હોવાની સાથે જ ન્યુમોનિયાથી પણ પીડિત છે. હોસ્પિટલમાં લતા મંગેશકર ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે. લતા મંગેશકરના સ્વાસ્થ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ICUમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને તેમની કાળજી લેવામાં આવી રહી છે.
ડિસ્ચાર્જ તારીખ નિશ્ચિત નથી
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. પ્રતિક સમદાનીએ જણાવ્યું કે, લતા મંગેશકરની તબિયતમાં પહેલા કરતા સુધારો આવ્યો છે, પરંતુ હજુ તેઓને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. 92 વર્ષીય લતા મંગેશકરની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ ICUમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
8 જાન્યુઆરીની સાંજથી હોસ્પિટલમાં દાખલ
બ્રીચ કેન્ડી હોસ્પિટલની શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ લતા મંગેશકરની સારવાર કરી રહી છે અને તેમની તબિયતમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. તેઓ ગયા શનિવાર (8 જાન્યુઆરી)ની સાંજથી હોસ્પિટલમાં દાખલ છે.
આ રીતે તેમના ઘરે પહોંચ્યો કોરોના
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લતા મંગેશકરને તેમના એક કર્મચારીના કારણે કોરોના થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના ઘરે કામ કરતા એક કર્મચારીનો પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ લતા મંગેશકરના સંપર્કમાં આવ્યા હતા, ત્યારબાદ 92 વર્ષીય દિગ્ગજ ગાયિકાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.