ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના ઘરમાં હાલમાં ડખા ચાલી રહ્યા છે. જામનગરમાં તેમના પરિવારમાં જે રાજકીય ધમાલ મચી છે, તેને દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વાત એમ છે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને બહેન નયનાબા જાડેજા વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે.
ચૂંટણી પહેલા જ રવિન્દ્ર જાડેજાના પરિવારના બે સભ્યો આમનેસામને આવી ગયા છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ જેમ સૌ જાણે છે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપનું એક જાણીતું નામ છે.
વિધાનસભાની ચૂંટણી માટે જામનગરની બેઠક માટે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને આ પદ પરથી રાજીનામું સોંપી દીધું છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નયનાબા જામનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. જે માટે તેમણે દાવેદારી પણ નોંધાવી છે. તેઓનું જણાવવું છે કે વિધાનસભાની તૈયારીઓ માટે તેમણે રાજીનામુ આપ્યું છે. તેમનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો બધી જવાબદારીઓમાં પહોંચી વળવું શક્ય નથી, તેથી તેમણે રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું કે તેમણે રાજીનામા પર પણ આ જ કારણ લખ્યું છે. તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું કહેવું છે કે જો ભાજપ ચૂંટણી વખતે તેમના પર વિશ્વાસ કરશે તો તેઓ તૈયાર છે.
તો હવે રવિન્દ્ર જાડેજા સામે એક મોટો પ્રશ્ન ઉભો થશે કે કોનો સાથ આપવો? એક તરફ બહેન છે તો બીજી તરફ પત્ની છે, ચૂંટણીમાં કોનો પક્ષ લેવો અને કોના માટે પ્રચાર કરવો? જો કે આ પ્રશ્નોના જવાબ તો સમય જ આપશે, પણ હાલ આ મુદ્દો જામનગરના રાજકારણમાં ગરમી વધારી રહ્યો છે.