ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ સંતોષજનક નિવારણ ન આવતા ભારતીય કિસાન સંઘની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અથવા તો અમુક સમયાંતરે વીજળીના મીટરનો કોઈપણ નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં મહાઆંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ગત સપ્તાહે મહેસૂલ મંત્રી, કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી સાથે બેઠક કરી ખેડૂતોને સમાન વીજદર આપવા રજૂઆત કરી હતી. આ બેઠકને 7 દિવસ વિતવા છતા નિરાકરણ ન આવતા હવો ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ શામજી મિયાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળીમાં મીટર લગાડવામાં આવ્યા છે. ત્યારે તમામ ખેડૂતોને સમાન બીલ આવે અને મીટર પ્રથા નાબૂદ કરવામાં આવે. જો 15 જૂન સુધી આ માગ સ્વીકારવામાં નહીં આવે તો તમામ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ મહાઆંદોલન શરૂ કરાશે તથા ખેડૂતો રસ્તા પર આવી સરકારનો વિરોધ કરશે.