ગુજરાતમાં રખડતા ઢોર-ટ્રાફિક અને રસ્તા સમસ્યાના મામલે ફરી એક વાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, કાયદો બન્યા બાદ અમલીકરણ થતું નથી, સરકારે આ અમલીકરણ પર ધ્યાન આપવાની જરૂર છે.
બીજી બાજુ રાજ્ય સરકારે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ આપતા કહ્યું કે, જનતાની સમસ્યા પર ધ્યાન આપીશું અને જનતાના હિત માટે ટોલ ફ્રી નંબર, ઈ-પોર્ટલ પણ બનાવીશું. વધુમાં એમ પણ કહ્યું કે, જનતાની સમસ્યા અમારી સમસ્યા છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, જુનાગઢ, જામનગર અને ભાવનગર જેવા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે. તમને જણાવી દઈએ કે, ભાજપના પ્રદેશ પ્રમુખે બે માસ પહેલા જ નાગરિકોને અડચણ, ટ્રાફિક સમસ્યા અને રખડતા પશુઓથી થતી હેરાનગતિથી છૂટકારો અપાવવા જાહેર મંચ પરથી અભિપ્રાય આપી મહાનગરના સતાધીશોને ટકોર કરી હતી.
આ સાથે ચીફ જસ્ટિસે રખડતાં શ્વાનના ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે રખડતાં શ્વાનના ત્રાસને લઈને રસ્તા પર ચાલવા નીકળવું જોઈએ નહીં એવી મને સલાહ અપાઈ છે. શ્વાનથી તકલીફ નથી, પણ કોઈની મજા કોઈની સજા ના બનવી જોઈએ તેવી ટકોર કરી હતી.
કોર્ટે સ્થાનિક પ્રશ્નો મુદ્દે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને ફરિયાદ નિવારણ માટેની જવાબદારી સોંપવા જણાવ્યું. આ મામલે 19 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.