મે-જૂન મહિનામાં દેશમાં સખત ગરમી પડે છે. સતત વધી રહેલો પારો અને ગરમીની આ સિઝનને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે, કાળઝાળ ગરમીમાં કેટલીક બેદરકારી તમને અનેક બીમારીઓનો શિકાર બનાવી શકે છે. આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને ગરમીથી બચવા માટેના ઉપાય કરતા રહેવાની અપીલ કરે છે.
અભ્યાસો દર્શાવે છે કે, વધતું તાપમાન ઘણા પ્રકારના પેથોજેન્સના વિકાસ અને બીમારીઓને ફેલાવવા માટે આદર્શ હોય છે. પેટથી લઈને આંખો અને ત્વચા સુધી આ ઋતુ આપણા બધા માટે ઘણી રીતે પડકારજનક હોઈ શકે છે.
તબીબોનું કહેવું છે કે, બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયજૂથના લોકોને ઉનાળાની બીમારીથી બચાવવાની જરૂર છે. ચાલો જાણીએ કે આ ઋતુમાં કઇ હેલ્થ પ્રોબ્લેમ સૌથી વધુ થાય છે.
ફૂડ પોઈઝનિંગની સમસ્યા
ઉનાળામાં સૌથી સામાન્ય બીમારીઓમાંથી એક છે- ફૂડ પોઇઝનિંગ. દૂષિત ખોરાક અથવા પાણીના સેવનથી થતી આ સમસ્યા તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે. ઉનાળામાં તાપમાનમાં વધારો થવાને કારણે ખોરાક પર બેક્ટેરિયા, વાયરસ, ઝેર ઝડપથી વધવા લાગે છે જે શરીરમાં પ્રવેશ્યા પછી પેટમાં દુખાવો, ઉબકા, ઝાડા કે ઉલ્ટી જેવી સમસ્યાઓનું કારણ બને છે. આનાથી બચવા માટે વાસી ખોરાક ખાવાનું ટાળો.
ડિહાઇડ્રેશનની સમસ્યા
ડીહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ એક સામાન્ય સમસ્યા છે. જોકે, જો તેની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ બની શકે છે. ઉનાળામાં આપણે શરીરમાંથી પરસેવાના રૂપમાં ઘણું પાણી ગુમાવી દઈએ છીએ, જો તે જ પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો શરીરમાં તેની ઉણપ થઈ શકે છે. જેના કારણે નબળાઈ, થાક, બ્લડ પ્રેશરની સમસ્યા, તાવ જેવી સમસ્યાઓ થાય છે.
કમળાની સમસ્યા
કમળો પણ એક ગંભીર રોગ છે જેના માટે તમારે ઉનાળાના મહિનાઓમાં સાવચેત રહેવાની જરૂર છે. તે દૂષિત ખોરાક અથવા પાણીના સેવનથી થઈ શકે છે. કમળાની સ્થિતિમાં લીવરની સામાન્ય કામગીરીને પણ અસર થાય છે. આ સ્થિતિમાં ત્વચા અને આંખો પીળી પડવી, પેશાબનો રંગ પીળો પડવાની સમસ્યા થાય છે. કમળાથી બચવા માટે લીવરને સ્વસ્થ રાખતી વસ્તુઓના સેવન પર ધ્યાન આપવું જોઈએ.
આંખની સમસ્યાઓ
સૂર્યના તેજ કિરણો અને વધતી જતી ગરમીના કારણે આંખોને લગતી સમસ્યાઓ થવી સામાન્ય વાત છે. આ સિઝનમાં લોકોને આંખમાં એલર્જી, લાલાશ, આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળામાં આંખોને સ્વસ્થ રાખવા માટે સન-પ્રોટેક્ટીંગ ચશ્માનો ઉપયોગ કરો અને આંખોની સાફ-સફાઈ કરો અને તેને આરામ આપો.