તા-29-07-2022 ભાજપ સરકાર દ્વારા જાહેર કરેલ કેમીકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડ અંગે ભાજપ સરકાર – ગૃહ વિભાગની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમિકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાખવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં પણ થયેલા લઠ્ઠાકાંડમાં ૧૪૬ લોકોના મોત થયા હતા અને ૫૪૧ લોકો અસરગ્રસ્ત થયા હતા જેમાં કેટલાય નાગરિકોએ પોતાની આંખો સહિતના અંગો ગુમાવ્યા હતા. ૨૦૦૯ના લઠ્ઠાકાંડ બાદ રચાયેલા જસ્ટિસ મહેતા કમીશને ભાજપ સરકારને ફટકાર લગાવી હતી કમિશનની ભલામણોને લાગુ કરવામાં ન આવતાં ફરી એક વખત ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો. ૪૨ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કેમિકલ કાંડની વાતો કરતી ભાજપ સરકાર મિથેનોલ-કેમિકલના એકઝાઈઝના કર્મચારીઓ પર કાર્યવાહી કેમ નથી કરતી? એક તરફ ગૃહમંત્રી-રાજ્ય સરકાર વારંવાર લઠ્ઠાકાંડને મિથેનોલ-કેમિકલકાંડ ગણાવે છે તો પ્રોહિબિશનની કલમનો એફ.આઈ.આર.માં કેમ લગાવવામાં આવી? બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના માનવસર્જીત ઘટના છે અને ભાજપ સરકાર જવાબદાર છે. પ્રોહિબિશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આર્શિવાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરફેર-વેપલો ચાલી રહ્યો છે. ભાજપ સરકારમાં દારુબંધી માત્ર કાગળ ઉપર છે તે ફરી સાબિત થયું છે. વર્ષ ૨૦૦૯માં સ્પષ્ટ ભલામણો છતાં જસ્ટીસ મહેતા કમીશનની ભલામણોને સરકારે ગંભિરતાથી કેમ ન લીધી? સુરતમાં લઠ્ઠાકાંડ, અમદાવાદના ૨૦૦૯નો લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓથી ભાજપ સરકારે કોઈ શીખ ન લીધી જેના પરિણામે બોટાદમાં ૪૨થી વધુ જીંદગીઓ હોમાઈ ગઈ. ભાજપના મળતિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગતને લીધે ગુજરાતના નાગરિકો ભોગ બની રહ્યાં છે. જવાબદાર એક્સાઈઝ અધિકારી – વીઝલન્સ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી ? ભાજપ સરકાર જવાબ આપે.
મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે પણ મહેફીલકાંડ, લઠ્ઠાકાંડ, જેવી ઘટનાઓ બને ત્યારે ભાજપ સરકાર નીતનવા પરિપત્રો કરે છે પરંતુ વિસ્તાર પ્રમાણે પ્રોહિબિશન કાયદા હેઠળ પકડાયેલા લોકોનું રજીસ્ટર કેમ નથી બનાવતી? હિસ્ટ્રીસીટર, બુટલેગર, દારૂના ખેપીયા અને અસામાજીક તત્વોના કેટલા રજીસ્ટર છે? તેમાં આવા કેટલા લોકો રજીસ્ટર થયા છે? તેની સંપૂર્ણ માહિતી ભાજપ સરકાર આપે. કમિશનની ભલામણોને ભાજપ સરકારે કાયદામાં માત્ર દેખાડા પુરતા સુધારા કરવામાં આવ્યા. ભ્રષ્ટાચારનો એપીસેન્ટર એવો ગૃહવિભાગ લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી રહી છે પરંતુ મિથેનોલની બેરોકટોક-હેરફેર પર કેમ કોઈ કાર્યવાહી નહીં? વર્ષ ૨૦૦૯માં કમિશનના રીપોર્ટમાં મિથેનોલ ઉપરની થતી ગેરકાયદેસર હેરફેર પર, સ્ટોરેજ પર ચાંપતી નજર રાખવા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, વીઝીલન્સ રાખવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યાંય અમલ થયો નહીં પરિણામે બોટાદ લઠ્ઠાકાંડમાં ૪૨ થી વધુ નાગરિકોના જીવ મીથેનોલ આલ્કોહોલના લીધે હોમાઈ ગયા. લઠ્ઠાકાંડ-મિથેનોલકાંડ માટે જવાબદાર પ્રોહીબીશન, એક્સાઈઝ અધિકારીઓ પર કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પક્ષ કરે છે.