ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં 6 જૂનના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ વચ્ચે શિક્ષણ વિભાગે ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને લઈ મોટો નિર્ણય લીધો છે.
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓનો રી-ટેસ્ટ લેવામાં આવશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરાયેલી રજૂઆત બાદ શિક્ષણ વિભાગે બાળકોના હિતમાં નિર્ણય લીધો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું કે, સમગ્ર કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળ કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2021-22 દરમિયાન ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક તક આપશે. 13 જૂનથી શાળાઓ શરૂ થાય ત્યારે નાપાસ વિદ્યાર્થીઓની શાળાકક્ષાએ પરીક્ષા લેવા આદેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિદ્યાર્થીઓના અભ્યાસનું 1 વર્ષ બચશે. તેઓ રી-ટેસ્ટમાં પાસ થવાથી તણાવ વિના આગળના વર્ષમાં અભ્યાસ કરી શકશે. નોંધનીય છે કે, કોરોનાકાળમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9માં અંદાજે 45 ટકા, જ્યારે ધોરણ-11માં 40 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનો દાવો કરાયો હતો.