અમદાવાદમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટની દેશભરમાં ચર્ચા થાય છે. ગાંધી આશ્રમથી લઈને મોર્નિંગ વોક અને ફરવા માટે યુવાનોમાં આ જગ્યાનો ક્રેઝ જોવા મળતો હોય છે ત્યારે રિવરફ્રન્ટ પર વિકાસ માટે સરકાર દ્વારા નવા નવા પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે.
સીપ્લેન પ્રોજેક્ટના વિલંબ વચ્ચે હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોય રાઈડ પ્રોજેક્ટની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટથી હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો ‘એરિયલ વ્યૂનો નજારો માણી શકાશે. નદી પર હેલિકોપ્ટર દ્વારા જોય રાઈડનો દેશનો આ સૌપ્રથમ પ્રોજેક્ટ હશે. જેને શરૂ કરવાની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.
સીપ્લેન બાદ હવે બ્લુ રે એવિએશન દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી હેલિકોપ્ટરથી જોય રાઈડનો અનુભવ કરી શકશે. આ જોય રાઈડમાં બેસી 7થી 10 મિનિટ રિવર ફ્રન્ટની આસપાસ નક્કી કરાયેલા રુટ પરથી અમદાવાદનો આકાશી નજારો માણી શકાશે. જેની વ્યક્તિદીઠ બે હજારની આસપાસ ટિકિટ રાખવામાં આવી છે.
જોકે આ રાઈડની સેવા ફક્ત શનિ-રવિ વારે જ ચાલુ રહેશે. જેથી વિકેન્ડમાં બુકિંગ પણ સારા મળી રહે તેવી આશા છે. ટૂંક સમયમાં ટિકિટના બુકિંગ માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે. હાલ એલિસબ્રિજથી સરદારબ્રિજ સાઈડના રિવરફ્રન્ટ પર ગુજસેલ દ્વારા ત્રણ વોટર એરિડ્રામ હેલિપેડ બનાવાયા છે. જેની ઉડાન, રુટ સહિતની સ્ટેટ એવિએશન વિભાગની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબકકામાં છે