તા.20-1-2022, રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષસ્થાને રાજકોટના સફાઈ કામદારોના પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, મ્યુ.કમિશ્નર અમિત અરોરા સહિતના અધિકારીઓ અને સફાઇ કામદારો સાથે બેઠક મળી હતી.
આ બેઠક પૂર્વે એમ. વેંકટેશને કસ્તુરબા માર્ગ ઉપર આવેલા ગાર્ડન સ્થિત વાલ્મિકી ઋષિની પ્રતિમાના દર્શન કર્યા હતા. ત્યારબાદ સફાઈ કર્મચારીઓના ઠક્કર બાપાની કોલોની અને જામનગર રોડ સ્થિત વાલ્મીકિ વાડી ખાતે આવેલા નિવાસસ્થાનોની મુલાકાત લીધી હતી. તેમના રજૂઆતો-પ્રશ્નો સાંભળ્યાં હતા અને તેમની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
આ સાથે તેમણે સફાઈ કામદારોના પ્રશ્નોનો હલ કરવા માટે તત્પરતા દર્શાવી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેને કોરોના સામે લડાઇમાં સફાઇ કામદારોનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સફાઈ કામદારોના પ્રશ્નોને પ્રત્યેક્ષ સાંભળીને તેનો હકારાત્મક નિકાલ થાય તે દિશામાં કાર્યરત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે. સફાઈ કામદારોને અનુરોધ કરતા વેંકેટેશને ઉમેર્યું કે, વડાપ્રધાનના “સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત”ના અભિયાનને સાકાર કરવા આપણા ગલ્લી, મહોલ્લા અને શહેરને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરવો જોઇએ. આપણું શહેર સ્વચ્છ હશે, તો નાગરિકો પણ સ્વસ્થ રહેશે. સરકારે આપણા શિરે સ્વચ્છતાની મોટી જવાબદારી સોંપી છે. જેને ખુબ ચોકસાઇથી પુર્ણ કરવી એ આપણી નૈતિક જવાબદારી છે.
સાથો-સાથ તેઓએ વાલ્મીકી સમાજના લોકોને સફાઇના કામથી વિપરીત અન્ય ક્ષેત્રમાં- આગળ આવવા માટે પણ આહ્વાન કર્યું હતું. આ તકે સફાઇ કામદારોના પી.એફ., લઘુત્તમ વેતનની જોગવાઇ, કોમ્યુનિટી હોલ, મેડીકલ રજા, આવાસ યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા જેવા પ્રશ્નો ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ સફાઇ સમયે માસ્ક, ગ્લોવ્ઝ સહિતની વસ્તુઓ કર્મચારીઓને પુરી પાડવા ઉપરાંત સફાઇ કર્મચારીઓનું રેગ્યુલર મેડીકલ ચેકઅપ થાય તેની કાળજી લેવા માટે વેંકટેશને ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ સમગ્ર મુલાકાત દરમિયાન વાલ્મિકી સમાજના આગેવાન મનોજ ટીમાણિયા, જલ્પેશ વાઘેલા, સરવન ચૉહાન, હીરાભાઈ ઘાવરી, જેનિ વાઘેલા, ધર્મેશ વાઘેલા, નગરસેવક પ્રવીણ ચાવડા, ધર્મગુરુ રામદાસ બાપુ, ડે. કમિશનર એ.કે સિંગ, નાયબ નિયામક, અનુ.જાતિ કલ્યાણ સી.એન.મિશ્રા, આસી. મેનેજર ડી.વી.માવદીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના કાળમાં અવસાન પામેલા રાજકોટ મહાનગરપાલિકાના નવ સફાઈ કર્મચારીઓના વારસદારોને જિલ્લા સેવા સદન ખાતેની બેઠકમાં કાયમી નોકરીના ઓર્ડર આ તકે મહાનુભાવોના હસ્તે અપાયા હતા. જિલ્લા સેવા સદન ખાતેની બેઠકમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુ.કમિશ્નર અમિત અરોરા, જિલ્લા પોલીસવડા બલરામ મીના, નગરપાલિકા નિયામક આશિષ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, સિવિલ સુપરિટેન્ડન ડો.રાધેશ્યામ ત્રિવેદી, ચિફ ઓફિસર સહિતના અધિકારીઓ અને અગ્રણી સફાઇ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.