ગ્રામ્ય વિસ્તારોમાં જન્મતા બાળકો જ કુપોષિત નથી હોતા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાંથી ગ્રામ્ય વિસ્તારોના ચૂંટાયેલા સરપંચો અને તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો દ્વારા જન્મ આપવામાં આવતા લકવાગ્રસ્ત વિકાસ પણ કુપોષિત હોય છે અને તે પણ બાળપણમાં જ મૃત્યુ પામતો જોવા મળે છે.
હાલોલ તાલુકાના વાઘબોડ ગ્રામ પંચાયતના ઇશ્વરીઆ ગામની નવીનગરીમાં સ્થાનિક સરપંચ દ્વારા ચોમાસા પહેલા જ નવું બનાવવામાં આવેલ નાળુ ચોમાસાના પહેલા વરસાદી પાણીમાં જ ધોવાઈ જતા કોતર ઉપરથી જવા અને આવવામાં ભારે મુશ્કેલીઓ ગ્રામજનોને પડી રહી છે. અત્યાર કરતા કોતર ઉપર નાળુ ન હતું એ સ્થિતિ વધુ સારી હોવાનું લોકો જણાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્યપ્રજાની સુખાકારી માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ થકી લાખો રૂપિયા ગ્રામ પંચાયતોને ફાળવે છે, ત્યારે ગામનો વિકાસ કરવાની જેની જવાબદારી છે અને ગામના લોકો જેને આ જવાબદારી નિભાવવા ગામનો પ્રથમ નાગરિક બનાવે છે, તે સરપંચો જ ગામના લૂંટારા બની જઈ રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી કરવામાં આવતા વિકાસના લગભગ કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરી ગામનો નહીં પણ પોતાનો વિકાસ ચોક્કસ કરી લેતા હોય છે.
ઇશ્વરીઆ ગામે સો ટકા નાયક વસ્તી ધરાવતા નવીનગરીમાં 30 જેટલા પરિવારો વસે છે, જેઓએ આજદિન સુધી વિકાસને જોયો જ નથી, કોતરની સામે પાર ખેતરોમાં જવા આવવા અગવડ પડતા અહીં કોતર ઉપર સરપંચે નાળુ બનાવ્યું ત્યારે અહીંના લોકોને પણ વિકાસનો લાભ મળ્યો હતો. પરંતુ આ નવી નગરીમાં જન્મેલા વિકાસે માત્ર બે ત્રણ મહિનાઓમાં જ દમ તોડી દેતા અહીંના લોકો હજી વિકાસની વાસ્તવિકતા સમજી જ નથી શક્યા.
ચોમાસામાં વરસાદના પહેલા પાણીમાં જ નાળુ ધોવાઈ જતા આ નાળા ઉપરથી પસાર થવું વધુ જોખમી બનતા સરકાર ફરીથી અહીં વિકાસને પુનર્જીવિત કરે એવી માંગ કરી રહ્યા છે.
રિપોર્ટઃ નરેન્દ્ર પરમાર, જાંબુઘોડા