પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા અપીલ કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પીને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, સૈનિકોનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ. આ જ તે સમય છે જ્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવું પડશે અને સંગઠિત થઈને અને આ દુસ્સાહસનો જવાબ આપવો પડશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું, ’15-16 જૂને, ભારતના 20 હિંમતવાન સૈનિકોએ ગલવાન ખીણમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. દેશના આ સપૂતોએ તેમના અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી. આ સર્વોચ્ચ બલિદાન માટે આપણે આ હિંમતવાન સૈનિકો અને તેમના પરિવારોના આભારી છીએ, પરંતુ તેમનું આ બલિદાન વ્યર્થ ન જવું જોઈએ.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, આજે આપણે ઇતિહાસના નાજુક મોડ પર ઉભા છીએ. આપણી સરકારના નિર્ણયો અને સરકારનાં પગલાં નક્કી કરશે કે ભાવિ પેઢીઓ આપણું આંકલન કેવી રીતે કરે. જેઓ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમના ખભા પર કર્તવ્યનું પાલન કરવાની ફરજ છે. આપણી લોકશાહીમાં, આ જવાબદારી વડાપ્રધાનની છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, ‘વડાપ્રધાને તેમના શબ્દો અને ઘોષણાઓ દ્વારા દેશની સુરક્ષા તેમજ સમારિક અને ભૂભાગીય હિતો પર પડનારી અસર વિશે હંમેશાં ખૂબ કાળજી રાખવી જોઈએ. ચીને એપ્રિલથી લઈ આજસુધી ગલવાન ઘાટી અને પેંગોંગ ત્સો લેકમાં અનેક વખત બળજબરીથી ઘૂસણખોરી કરી છે.
ઘૂસણખોરી અંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, આપણે ન તો તેમની ધમકીઓ તેમજ દબાણ સામે નમીશું અને ન તો આપણી ભૂભાગીય અખંડિતતા સાથે કોઈ સમાધાન સ્વીકારીશું. વડાપ્રધાને પોતાના નિવેદનોથી તેમના ષડયંત્રકારી વલણને બળ ન આપવું જોઈએ અને એ ખાતરી કરવી જોઈએ કે સરકારના તમામ અંગો આ ખતરાનો સામનો કરવા તેમજ સ્થિતિને વધારે ગંભીર થતા રોકવા માટે પરસ્પર સહેમતિથી કામ કરે.’