અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને એક સપ્તાહ થવા આવ્યું છે છતાં એસઆઈટી અને સીઆઈડી ક્રાઈમ હત્યારાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. આ મામલે જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ છબીલ પટેલ પર આરોપ મુક્યો છે કે, જયંતિની હત્યા માટે છબીલે જ મનિષા ગોસ્વામીને ત્રણ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
તે સિવાય ભાનુશાળીના કુટુંબને ખતમ કરી નાંખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ મનિષા અને છબીલ સામે શકમંદ દર્શાવી અને ફરિયાદ પણ થઈ ગઈ હોવાથી હવે આ કેસ જયંતી ભાનુશાળી, છબીલ અને મનિષાના રાજકીય ત્રિકોણમાં ફસાયો છે. અગાઉ જયંતી ભાનુશાળી અને છબીલદાસ વચ્ચે એક જમીન મામલે વિવાદ પણ ચાલતો હતો.
એસઆઈટીમાં સામેલ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ અલગ-અલગ રીતે તપાસ કરી રહી છે. જેના લીધે તપાસ એજન્સીઓમાં ખેંચતાણ ચાલુ થઈ છે. બીજી તરફ સત્તાધારી પક્ષના કદાવાર નેતાની હત્યા થઈ હોવા છતાં અત્યાર સુધી શું તપાસ કરી તેની માહિતી કેમ મીડીયાને પણ આપવામાં આવતી ન હોવાથી તપાસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. પોલીસે મનીષા, વાપીના સુરજીત ભાઉને ઝડપી લીધા હોવાનું કહેવાય છે.પરંતુ છબીલ પટેલ અંગે ચુપકીદી સેવી રહી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે પોલીસ પણ મનિષાને સંડોવી આ પ્રકરણ પર ઠંડુ પાણી ફેરવી દેવાની ફિરાકમાં છે. ક્રાઈમ બ્રાન્ચે 8 મહિના પહેલા જયંતિ ભાનુશાળીને બ્લેકમેઈલ કરતી મનિષા અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા. જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ મનિષા સહિત અન્ય સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મનિષા સહિત અન્યોની ધરપકડ કરી હતી અને ત્યારથી જ જયંતી ભાનુશાળીનું કાસળ કાઢવાનો પ્લાન ઘડવામાં આવ્યો હોવાનુ માનવામાં આવી રહ્યું છે.
એસઆઈટી દ્વારા સયાજીનગરી ટ્રેનમાં જયંતી ભાનુશાળી બેઠા અને ટ્રેનમાં હત્યા થયાની જાણ થઈ ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવીને તેનું એફએસએલના નિષ્ણાતોની મદદથી બારીકાઈથી નિરીક્ષણ કરાઈ રહ્યું છે. એસઆઈટી દ્વારા અત્યાર સુધીમાં 107થી વધુ લોકોનાં નિવેદનો લેવામાં આવ્યાં છે.
ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા અત્યાર સુધીમાં 25૦૦૦થી વધુ મોબાઈલ ફોનની તપાસ કરાઈ હતી. જેમાં જયંતિ ભાનુશાળીની હત્યા કેટલા વાગ્યે થઈ હતી ? તેનો સમય મેળવવામાં આવ્યો હતો. હત્યાના સમયગાળા વખતે કેટલા મોબાઈલ ચાલુ હતા? તેની માહિતી મેળવવામાં આવી હતી. જયંતી ભાનુશાળીના પરિવારના સભ્યોને ધમકીઓ મળતા પોલીસની નિષ્ફળતા છતી થઇ રહી છે. જોકે, પોલીસે જયંતિ ભાનુશાળીના પરિવારને સુરક્ષા આપી છે.