ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોગ્રેસના પૂર્વ નેતા અને રાજકારણથી દૂર રહેલા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે.
નોધનીય છે કે શંકસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એનસીપીમાં જોડાશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. અમદાવાદમાં 29 જાન્યુઆરીના રોજ NCP નું સંમેલન યોજાવાનું છે અને તે સંમેલનમાં શંકરસિંહ વાઘેલા NCP માં જોડાશે. એનસીપી વડા શરદ પવારની હાજરીમાં શંકરસિંહ NCP નો ખેસ ધારણ કરશે. શંકરસિંહ મધ્ય-ગુજરતમાંથી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ એનસીપી દ્વારા અત્યારથી જ કરી દેવામાં આવી છે.
સૂત્રોના મતે બાયડના પૂર્વ ધારાસભ્ય અને બાપુના સુપુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ પિતાની સાથે એનસીપીમાં જોડાય તેવી સંભાવના છે. નોંધનીય છે કે મહેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા ચૂંટણી અગાઉ બાપુની સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. બાદમાં મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા હતા પણ ભાજપમાં મહેન્દ્રસિંહની અવગણના કરવામાં આવતા મહેન્દ્રસિંહે ભાજપ સાથે પણ છેડો ફાડયો હતો.
નોંધનીય છે કે અગાઉ ભાજપથી નારાજ શંકરસિંહ વાઘેલા કોગ્રેસમાં જોડાયા હતા પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ બાપુએ કોગ્રેસનો સાથ પણ છોડી દીધો હતો અને ગાંધીનગરમાં સંમેલન યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. અગાઉ પણ અનેકવાર એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે બાપુ આગામી દિવસોમાં એનસીપીમાં જોડાઇ શકે છે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ NCPના અધ્યક્ષ શરદ પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં ગુજરાત NCPના નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા. વાઘેલાએ મોદીને હરાવા માટે સર્જાયેલા મહાગઠબંધનને સમર્થન આપ્યું છે.