ખેડા: લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વ કોગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા સક્રીય થઇ ગયા છે. શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ખેડામાં ઓબીસી સંમેલન યોજવામાં આવ્યું હતું. ઓબીસી સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા.
પૂર્વ કોગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ ફાગવેલ ખાતે બક્ષીપંચ સંમેલન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મ સ્ટાર અનુપમ ખેરની કોઈ પૂછડી પૂછતું નથી. મનમોહનસિંહ જેવા નેતાનો રોલ કરવાની અનુપમ ખેરની કોઈ ક્ષમતા નથી.
તેમણે કહ્યું કે, આપણા બધાના લોહીમાં ભાથીજીના ગુણ છે. એના માટે જે પણ કરવું પડે એ કરવાની તૈયારી છે. માણસને અભડાય એ કેવી માન્યતા? દલિત સમાજને 6 થી 7 ટકા અનામતની બંધારણમાં સમાવેશ કરાયો છે. અનેક સમાજને અનામત મળી છે. અનામત મળે છે એ કેટલાકને ગમતું નથી.
વાઘેલાએ જણાવ્યું કે, 5000 વર્ષની ગામના છેવાડે રહેતા સમાજ પ્રત્યે માનવતાના રાહે પણ અભિગમ રાખવો જોઈએ. બક્ષીપંચના નામે અનામતનો લાભ નહીં ગેરફાયદો ઉઠાવવામાં આવે એ યોગ્ય નથી. બક્ષીપંચમાં ગુજરાતમાં કેટલાક બ્રાહ્મણ, રાજપૂત સમાજના લોકો છે.
મોદી સરકાર પર નિશાન સાધતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, સરકાર ક્યારેય તમને પોતાની લાગે છે? તમારી વેદના સાંભળનાર કોઇ નથી. કોઈ મંત્રી અધિકારી સમય આપે છે? સરકાર કોના માટે છે? આઈએએસ, આઈપીએસ અધિકારીઓના ઘર ભરવા માટે છે. જે સરકાર આપણા મતથી બની છે એ આપણા કોઇ કામની નથી. સરદાર પટેલ સ્ટેચ્યુ અને મહાત્મા મંદિર બનાવવાથી કોનો વિકાસ થયો? સરકારને કોને હક્ક આપ્યો આપણા રૂપિયા વેડફવાનો. ખેડૂતો-મહિલા-યુવાનોને બચાવવા જોઇએ.
ટૂંક સમયમાં રિલીઝ થનારી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પરની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્ટર’ વિશે પ્રતિક્રીયા આપતા તેમણે કહ્યું કે, એ અકસ્માતે પીએમ બન્યા નહોતા. મનમોહન સિંહ જેટલા સારા વડાપ્રધાન અત્યાર સુધી દેશને મળ્યા નથી. તેઓએ 10 વર્ષ મંદીમાંથી દેશને બચાવ્યો છે. તેમણે તમારી જેમ જાહેરાતોમાં ખર્ચા નહોતા કરતા. એમનું કામ બોલતું હતું.