રાજકોટ: જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયા કુમારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, મૈં ખાતા નહીં ઔર ખાને નહીં દેતા એવું કહેનારા મોદી ખાઇ પણ રહ્યા છે અને અનિલ અંબાણીને ખવડાવી પણ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સાથે કનૈયા કુમારે 'સંવિધાન બચાવો, દેશ બચાવો' રેલી પહેલાં પત્રકાર પરિષદને સંબોધી હતી.
આ પત્રકાર પરિષદમાં કનૈયા કુમારે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ મને દેશદ્રોહી કહે છે પણ મારો ભાઇ સીઆરપીએફમાં જવાન હતો અને શહીદ થયો હતો. મારા દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા. મારી મોદીને ચેલેન્જ છે કે મારા પરનો આરોપ સાબિત કરી બતાવે. મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે, આપ જાનેવાલે હૈં, અચ્છે દિન આનેવાલે હૈ.
કનૈયાકુમારે વધુમાં જણાવ્યું હતું કે, મેં દેશ વિરોધી નારા લગાવ્યા હોત તો હું જેલમાં હોત. અમે જય જવાન, જય કિસાન, જય સંવિધાનના નારા સાથે રેલીનું આયોજન કરીએ છીએ. મારી માતા આંગણવાડીમાં કામ કરે છે. મારા પર આરોપ છે પણ દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી જેમાં દિલ્હી સરકારની મંજૂરી લીધી ન હતી. પ્રધાનમંત્રીને સવાલ કરીએ તો તેની આસપાસના લોકો કહે છે કે, સવાલ કેમ કરો છો તો ગાયબ કરી દેશું. જો કે અમારો વિરોધ કરવો હોય તે વિરોધ કરે પણ અમે ડરવાના નથી.
મોદી પર પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે, અનિલ અંબાણીનું પીઠબળ છે છતાં તેઓ અમારાથી ડરે છે. અમારી પાસે કોઇ પીઠબળ નથી છતાં અમે લડીએ છીએ. અમે તમારી 56 ઇંચની છાતી માપી નથી. જો 56 ઇંચની છાતી હોય તો મને જેલમાં કેમ નથી ધકેલતા ? મારી ઘરે સીબીઆઇ, ઇન્કમટેક્સ મોકલી દો. તમારાથી એ ડરશે જે તમારી ચોરીમાં ભાગીદાર હોય. અમે કાચા મકાનમાં રહીએ છીએ. દેશનો મતલબ પ્રધાનમંત્રી નથી, મોદી નથી, દેશનો મતલબ સવાસો કરોડ દેશવાસીઓ છે. હું ભારતમાતાની જય પણ બોલું છું, જય હિન્દ પણ બોલું છું.
રાજકોટના હોસ્પિટલ ચોકથી બપોરે 3.30 વાગે 'સંવિધાન બચાવો,દેશ બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા આયોજીત રેલીમાં કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃશ્નામ, રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજ, પાસ નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને યુવા નેતા કનૈયા કુમાર સહિતના નેતાઓ જોડાયા હતા.